Ahmedabad News: અમદાવાદ શિક્ષણ વિભાગની માનવતા, અનાથ બાળકીને 5.51 લાખનો ચેક આપવામાં આવ્યો
Updated: February 1, 2023, 4:46 PM IST
ફાઇલ તસવીર
Ahmedabad News: અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ અનાથ બાળકીની વ્હારે આવ્યું છે. અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારીએ શાળાઓને કરેલી સહાયની અપીલમાં લાખ્ખો રૂપિયા એકત્ર થયા હતા અને શિક્ષણ મંત્રીએ બાળકીને ચેક સોંપ્યો હતો.
અમદાવાદઃ 31મી નવેમ્બરે મોરબીનો ઐતિહાસિક ઝૂલતો બ્રિજ તૂટ્યો હતો અને 134 જેટલાં લોકોએ જીવ ગુમાવ્યો હતો. આજેય આ ઘટનાના પડઘા સંભળાઈ રહ્યા છે. આ ઘટનામાં અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેમાં અમદાવાદની એક બાળકી પણ અનાથ બની ગઈ હતી. અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ આ બાળકીની વ્હારે આવ્યું છે. અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારીએ શાળાઓને કરેલી સહાયની અપીલની અસર દેખાઈ છે. જેમાં બાળકીને સહયોગ માટે અમદાવાદની શાળાઓએ 5 લાખ 51 હજારની સહાય કરી ઉદાહરણરૂપ કામગીરી કરી છે.
અમદાવાદ DEOએ સહાય માટે પત્ર લખ્યો
આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સંતાનો માટે શિક્ષણતંત્ર પણ વ્હારે આવ્યું હતું. ખાસ કરીને, અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને સહાય માટે અપીલ કરી હતી. DEOએ શહેરની સરકારી, ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને સંબોધીને એક પત્ર લખ્યો હતો. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, મોરબી પરના ઝૂલતો બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં અમદાવાદના બે વ્યક્તિઓના મોત થયા હતા. 38 વર્ષીય અશોકભાઈ ચાવડા અને તેમના પત્ની 34 વર્ષીય ભાવનાબેન ચાવડાનું અવસાન થયું હતું. માતા-પિતાનું અવસાન થયા બાદ અનાથ બનેલી તેમની એકમાત્ર 5 વર્ષની દિકરી હર્ષી ચાવડા અનાથ બાળકોને મળતી શાળા ફી, ટ્યુશન ફી જેવી શૈક્ષણિક સહાય કરવામાં આવી હતી.
શિક્ષણ મંત્રીએ પણ સહાય કરી
જિલ્લા શિક્ષણાધિકારી,અમદાવાદ શહેરની અપીલથી અમદાવાદ શહેર સંકલન સમિતિ અને અમદાવાદ શહેરની શાળાઓના સહયોગથી 5 લાખ 35 હજાર એકત્રિત કર્યા હતા અને શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબના હસ્તે 5.35 લાખનો ચેક બાળકીને આપવામાં આવ્યો હતો. આ રકમમાં મંત્રીજીએ 16 હજાર પોતાના ખાતામાંથી ઉમેરી 5.51 લાખનો ચેક બાળકીને આપ્યો હતો.
Published by:
Vivek Chudasma
First published:
February 1, 2023, 4:46 PM IST